(રાગ-મારી ફલ રે ફકીરી બીજું કોણ તો જાણે?...)
કોણ તો જાણે રે બીજું કો કોણ તો જાણે,
પિયુજી વિના દુઃખડાં કોણ તો જાણે?
ભવસાગર મારો ખારા જળે ભર્યો,
પ્રભુજીનો રે એવો મેં ગુનો કયો કર્યો?
દુઃખડાં દઈને મને, એ સુખ માણે, પિયુજી વિના...
આગળ વધું છું ત્યાં તોફાન આવે છે,
ભયંકર વમળો મને રાહે ડરાવે છે;
સત્યને નિંદે જગ આ જૂઠ વખાણે, પિયુજી વિના...
મારા દુઃખની કોઈને અસર નથી,
કોને હું કહું નિંદાની કસર નથી;
અભાગી ગણી કહે, ‘આવી કયા રે ટાણે,' પિયુજી વિના...
મારા રાહે બધે અંધકાર છવાયો,
જશને બદલે અપજશ ગવાયો;
નથી હું તો જાણતી કોણ કોનું તાણે, પિયુજી વિના...
કાળાં છે વાદળાં, વીજળી ઝબકે છે,
નસીબ વિનાનું હૃદય મારું ધબકે છે;
ધૂળ તો પડી છે મારા ભરેલ ભાણે, પિયુજી વિના...
મારું રે કાળજું ભડકે બળે છે,
અમીરસના બદલે વિષ મળે છે;
સુખ છે ઝાંઝવા, દુઃખ આવ્યું વહાણે, પિયુજી વિના...
કેવી રહેતી હતી હું હર્ષ-ઉમંગે,
પ્રભુજી ચડી ગયો મારી સાથે જંગે;
એક અભાગણીનો પક્ષ કોણ તાણે, પિયુજી વિના...
પુત્ર ગયો અનંતે, પિયુ છે વિદેશ,
ભાગ્યે દીધો મને અભાગણીનો વેશ;
આવવા રે ખાતર સૌ આવે છે કાણે, પિયુજી વિના...
પિયુજી હોય તો મારી વાત સાંભળે,
મારી રે મુશ્કેલીનો ઉકેલ લાવે;
મારા રે દુઃખડાંનો ઈ હલ તો આણે, પિયુજી વિના...
એક આધાર હતો તે સ્વર્ગે રે ગયો,
એના પિતાને વિદેશનો મોહ થયો;
સંકટમાં મૂકી મને કેવા રે ટાણે, પિયુજી વિના...
દુઃખડાંની મારી ભાગ્યને દોષ દેતી,
લખેલાં નસીબમાં હું કષ્ટો સહેતી;
મારું રે જીવન કેમ પડશે થાણે, પિયુજી વિના...
ચાંદની જાય ને અંધારી રાત આવે,
પિયુજી આવીને ચાંદની પાછી લાવે;
ઈ રે આવ્યે ઘર ભરાઈ જાય ગાણે, પિયુજી વિના...
આ સંસાર મને ડગે ડગે ડરાવે,
પિયુજી આવીને નિર્ભયતા અપાવે;
કેમ રે વિંધાણી હું વેદનાના બાણે, પિયુજી વિના...
પાગલ મન એના પાગલ વિચારો,
ગાંડી બનીને હવે કરું છું લવારો;
પિયુજીને દેશમાં હવે કો' તાણે, પિયુજી વિના...
કેટકેટલા મારે આઘાત સહેવા,
પ્રભુ પાસે કેવા કાલાવાલા કહેવા;
ડુબાડે ભલે હવે બેઠા છીએ વહાણે, પિયુજી વિના...
મારો પ્રભુજી તો નિર્દય બની ગયો,
પિયુજી વિનાનો જીવ મૂંઝાતો થયો;
પિયુજી આવીને મૂકી જાય મસાણે, પિયુજી વિના...
* * *
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો